આપણાં હિન્દુ શાસ્ત્રોમાં પરશુરામનો મહિમા તથા તેમની યશગાથાઓ ખુબ મોટા પાયે નિરૂપાયેલી છે. પરશુરામજી બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. એમના પિતા પણ તેજસ્વી અને પ્રતાપી હતા. એમના પિતાજીનું નામ જમદગ્નિ તથા માતાનું નામ રેણુકાદેવી હતું. પરશુરામજી મહાપ્રતાપી અને ભડવીર યોધ્ધા અને લડવૈયા હતા.
પરશુરામજી બાળપણથી જ તમામ પ્રકારના અસ્ત્ર શસ્ત્રમાં પારંગત હતા તથા મહા ધનુર્ધર હતા. પરશુરામનું મૂળ નામ ભાર્ગવ હતું, પરંતુ તેઓ હંમેશા પોતાના ખભા ઊપર પરશુ (એક પ્રકારનું કુહાડી જેવું હથિયાર) પોતાની સાથે રાખતા હતા તેથી તેઓ પરશુરામ તરીકે ઓળખાવા લાગ્યા. મોટાભાગની બ્રાહ્મણ જ્ઞાતિઓમાં તેમના તથા તેમના પિતાનાં નામ ઉપરથી જમદગ્નિ, પરશુરામ, ભાર્ગવ જેવા ગોત્ર પણ જોવાં મળે છે.
પરશુરામ બહું ક્રોધી અને ઉગ્ર સ્વભાવ ધરાવતા હતા. એક વખત પરશુરામજી પોતાના પિતાશ્રી માટે વનમાં ફળફળાદી લેવા માટે ગયા હતા અને તે વખતે કોઈ હૈહૈય ક્ષત્રિય વંશના રાજાએ આશ્રમમાં તોડફોડ કરી ધ્યાનમગ્ન જમદગ્નિ ઋષિના ગળામાં મરેલો સાપ નાંખ્યો હતો. પરશુરામજીએ આશ્રમમાં પાછા આવીને સઘળી હકીકત જાણી લીધી અને તાત્કાલિક દ્ઢ પ્રતિજ્ઞા કરી કે, હું પરશુરામ મારા પિતાશ્રીની સામે અને ઈશ્વરનાં સોગંદ ખાઈને પ્રતિજ્ઞા કરૂં છું કે, હું આ પૃથ્વી ઉપરથી હૈહૈય ક્ષત્રિય વંશનું નામોનિશાન મિટાવીને જ જંપીશ.
આમ પરશુરામજીએ આકરૂં પ્રણ લઈ એમણે પૃથ્વીને 21 વખત નક્ષત્રી (મતલબ કે હૈહૈય ક્ષત્રિયોની વસ્તી વગરની) કરી નાંખી હતી. પરશુરામજીનો ઉલ્લેખ રામાયણ તેમજ મહાભારતમાં પણ જોવા મળે છે. જ્યારે સીતાજીના સ્વયંવરમાં શ્રી રામચંદ્રજીએ શિવજીનું ધનુષ્ય તોડી નાંખ્યું હતું ત્યારે પરશુરામ અતિ ક્રોધિત થઈ શ્રી રામ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા હતા, પરંતુ પ્રભુ શ્રી રામે પોતાની અતિ વિનમ્રતા અને ગરિમા દેખાડતાં કહ્યું કે મુનિ શ્રેષ્ઠ હું તો કેવળ રામ છું, પરંતુ આપ તો પરશુરામ છો, આપ મારા કરતાં તમામ પ્રકારના અસ્ત્ર શસ્ત્રમાં પારંગત છો, આપની સામે હું તુચ્છ મગતરા સમાન છું. આપ મારાં કરતાં વધારે જ્ઞાની અને દક્ષ છો. આપ બળ તથા બુદ્ધિમાં પણ મારા કરતાં ઘણાં વિશિષ્ટ છો. આપ મારા વડીલ તથા પિતાતુલ્ય છો. મારો અપરાધ ક્ષમ્ય ગણી મને માફ કરી દો. શ્રી રામની શાબ્દિક અને તાર્કિક દલીલો સાંભળીને પરશુરામજીનો ક્રોધ ઓગળી ગયો અને શ્રી રામ તથા સીતાજીને સુખી થવાના આશીર્વાદ આપ્યાં.
મહાભારતમાં પણ સૂતપુત્ર કર્ણ પોતે બ્રાહ્મણ છે એમ ખોટું બોલીને પરશુરામ પાસેથી તમામ પ્રકારની દિવ્ય વિદ્યાઓ શીખ્યો, પરંતુ જૂઠાંણું ઝાઝું ટકતું નથી એ ન્યાયે પરશુરામજીને ખબર પડી કે કર્ણ બ્રાહ્મણ નહીં પરંતુ ક્ષત્રિય છે, આથી ક્રોધે ભરાઈને કર્ણને શાપ આપ્યો કે તેં ખોટું બોલીને મારી પાસેથી દિવ્ય વિદ્યાઓ પ્રાપ્ત કરી છે, પરંતુ ખરાં સમયે જ તને આ શક્તિઓ કામ નહીં લાગે. પરશુરામજીના આવા શાપને કારણે મહાભારતના અર્જુન સાથેનાં પરાકાષ્ઠાના યુદ્ધમાં કર્ણ પરશુરામજી પાસેથી શીખેલી વિદ્યા ભુલી ગયો અને છેવટે અર્જુનનાં બાણોથી હણાયો હતો.
પરશુરામજી પોતાના પિતાશ્રીની આજ્ઞાનું અક્ષરસઃ પાલન કર્તા હતાં. એક વખત પોતાના પિતાજીની આજ્ઞાથી એમણે એમની માતા રેણુકાદેવીનો શિરચ્છેદ કર્યો હતો અને ત્યાર પછી પોતાના તપોબળ વડે માતાને પુન: જીવિત કર્યા હતા.એક વેળા ગણપતિ સાથેના મહાયુદ્ધમાં પરશુરામજીએ પરશુનો છૂટો ઘા કર્યો હતો અને તે પરશુ વડે ગણપતિજીનો ડાબો દંતશૂળ ખંડિત થઈ ગયો. આ બનાવ પછી ગણપતિ એકદંત તરીકે ઓળખાવા લાગ્યા હતાં. રામાયણ, મહાભારત તેમજ વેદો પુરાણોમાં પરશુરામજીની ઘણી નાની મોટી વાર્તાઓનો ઉલ્લેખ થયેલો છે, પરંતુ બધીજ ગાથાઓને આ લેખમાં સમાવવી શક્ય નથી.
પરશુરામ અન્ય મુનિઓ કરતાં સાવ અલગ જ વિચારશરણી અને વ્યક્તિત્વ ધરાવતા ઉત્તમ કોટિના આદરણીય મહાપુરુષ હતાં અને એથીજ તેઓ મુનિ શ્રેષ્ઠ એવી પદવી પામ્યા હતાં. એવું કહેવાય છે કે પરશુરામજી સાત ચિરંજીવીઓમાં સ્થાન પામ્યાં છે અને હિન્દુ સંસ્કૃતિની રક્ષા કાજે મહેન્દ્ર પર્વત ઉપર આકરી અને કઠિન તપશ્ચર્યા કરે છે. વિરલ અને અનુપમ વ્યક્તિત્વ ધરાવનાર મુનિ શ્રેષ્ઠ પરશુરામજીના ચરણોમાં મારા કોટિ કોટિ વંદન છે.
યોગેશભાઈ આર જોશી
હાલોલ, જિ.પંચમહાલ