સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા અમને સામે આવી જતા મામલો ગરમાયો
લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હજી પરિણામ તો આવ્યું નથી ને જ ભરૂચ લોકસભાના બંને ઉમેદવારો આમને-સામને આવી ગયા છે. ડેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી. જે બાબતનો વિડિઓ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
આ બબાલ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મોડીરાત્રે Dy.SP. લોકેશ યાદવને મૌખિક અને લેખિત ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે અગાઉ ભાજપના ઈશારે મારા પર ખોટા કેસો થયા હતા. હવે આ મામલે ભાજપના ઈશારે જો પોલીસ મારા પર ખોટો કેસ કરશે અથવા એકતરફી કાર્યવાહી કરશે તો અમે રોડ પર ઊતરી જઈશું. લાખોની સંખ્યામાં આદિવાસીઓ ડેડિયાપાડામાં આંદોલન કરશે.
![](https://8m7a9e.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/05/Chaitar-Vasava-Mansukh-Vasava-1024x569.jpg)
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાનાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ડેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી અપાય છે. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન થતાં ઓફિસકર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. એ બાબતની જાણ થતાં હું તત્કાલિક ડેડિયાપાડામાં પહોચી રહ્યો છું,. જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે. કોઈપણ કર્મચારીઓને ગભરાવાની જરૂર નથી, સરકાર તમારી સાથે છે.
![](https://8m7a9e.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/05/MANSUKH-VASAVA-POST.jpg)
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાનાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા ટીડીઓને ધમકાવ્યા છે, એટલે ભાજપના લોકો ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે ભેગા થશો, હું આવવા નીકળી ગયો છું. આ મેસેજ એટલો બધો વાઇરલ થયો કે મનસુખ વસાવા ડેડિયાપાડા ખાતે પહોંચ્યા ત્યારે ચૈતર વસાવા પણ પોતાનાં સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા. દરમિયાન વાતાવરણ ગરમાયું હોવાથી ડેડિયાપાડા પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ગયો હતો.
આ ઘટના દરમિયાન માહોલ ગરમાયો હતો. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે એટલી હદે બોલાચાલી થઇ હતી કે જો પોલીસ વચ્ચે ન આવી હોત તો બન્ને વચ્ચે હાથાપાઈ થઈ જવાની પણ સંભાવના હતી. આ સમગ્ર ઘટના દરમિયાન ડેડિયાપાડાનું વાતાવરણ ગરમાયું હતું.