| |

ભારત માટે ઐતિહાસિક ક્ષણ : ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન- ૩નું સફળ લેન્ડિંગ

ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અત્યાર સુધી કોઈ દેશ નથી પહોંચી શક્યો. ત્યારે આ ઉપલબ્ધી પર આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે. આ સફળતા પર  ISROને દેશ અને દુનિયાથી શુભકામનાઓ મળી રહી છે. દુનિયાની મોટી-મોટી સ્પેસ એજન્સી પણ આ ઐતિહાસિક સફળતા માટે ભારતને શુભકામનાઓ આપી રહી છે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ – ગાંધીનગર ખાતેથી નિહાળ્યું જીવંત પ્રસારણ

ચંદ્રયાન-૩ મિશનના વિચારબીજથી લઇ ચંદ્રની સપાટી પર તેના સફળ લેન્ડિંગ સુધી યોગદાન આપનાર પ્રત્યેક ભારતીયને અભિનંદન પાઠવતા કૃષિ મંત્રીશ્રી

ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા નિર્મિત ચંદ્રયાન-૩ એ આજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગરના ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ખાતેથી ચંદ્રયાન-૩ લેન્ડિંગનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કૃષિ મંત્રીશ્રીએ ચંદ્રયાન-૩ મિશનના વિચારબીજથી લઇ ચંદ્રની સપાટી પર તેના સફળ લેન્ડિંગ સુધી પોતાનું યોગદાન આપનાર પ્રત્યેક ભારતીયને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક કક્ષાએ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે, તેમાં આજે ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ વધુ એક સીમાચિન્હ બન્યું છે.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચંદ્રયાન-૩ ના સફળ લેન્ડિંગને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવીને વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવી

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચંદ્રયાન-૩ ની સફળતાને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ISSRO ના વૈજ્ઞાનિકો દ્વારા દિવસ- રાત મહેનત કરીને ચંદ્રયાન-૩ને સફળ પરિણામ સુધી પહોંચાડ્યુ છે તે બદલ મંત્રીએ તમામ વૈજ્ઞાનિકોને સહર્ષ અભિનંદન પણ પાઠવ્યા હતા. ચંદ્રયાન-૩ ના વિક્રમ લેન્ડરના સફળ લેન્ડિંગ દ્વારા ભારત દેશ ચંદ્ર પર પહોંચનાર સમગ્ર વિશ્વમાં ચોથો દેશ બન્યો છે. ચંદ્રયાન-૩ ચંદ્ર પર માનવજીવન શક્ય હોવા સહિતના વિવિધ મુદ્દે સંસોધન કરશે જે ફક્ત ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને લાભદાયક નિવડશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.