ગુજરાત એટીએસ (ATS) દ્વારા આતંકવાદ વિરોધી કામગીરી અંતર્ગત મહત્વપૂર્ણ એન્ટી-રેડિકલાઇઝેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન બે શંકાસ્પદ યુવકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલા હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાત ATSના એસપી કે. સિદ્ધાર્થે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું કે, આ કાર્યવાહી અંતર્ગત મુંબઈના મુર્શિદ શેખ અને સિદ્ધપુરના ઈરફાન પઠાણની અટકાયત કરવામાં આવી છે. બંને યુવકોની વિચારધારા રેડિકલ હોવાનું સામે આવ્યું છે. ઈરફાન પઠાણને અગાઉ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન તે અનેક વોટ્સએપ તથા ટેલિગ્રામ ગ્રુપ સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ બંને આરોપીઓ ISIS સહિતના આતંકી તત્વો સાથે સંપર્કમાં હતા અને “ગઝવા-એ-હિંદ” જેવા ષડયંત્રાત્મક વિચારોને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
એસપી કે. સિદ્ધાર્થે વધુમાં જણાવ્યું કે, બંને આરોપીઓ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાની પ્રવૃત્તિમાં સક્રિય હતા. તેઓ દ્વારા આરએસએસ અને કેટલાક રાજકીય નેતાઓને નિશાન બનાવવાનો પ્લાન હોવાની પણ વિગતો સામે આવી છે. બંને આરોપીઓ છેલ્લા પાંચથી છ મહિનાથી સક્રિય હતા.
આરોપી ઈરફાન પઠાણે MSC કેમિસ્ટ્રી સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે મુર્શિદ શેખ નવમા ધોરણ સુધી ભણેલો છે અને બિરયાનીની દુકાનમાં કામ કરતો હતો. પ્રાથમિક તપાસ મુજબ સોશિયલ મીડિયા દ્વારા તેમની વિચારધારામાં રેડિકલ વલણ વિકસ્યું હતું.બંને આરોપીઓને કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે.