પોલીસે બાસણા મર્ચન્ટ કેમ્પસની હોમિયોપેથિક કોલેજના રૂમમાં પોલીસે તપાસ કરી સુસાઇડ નોટ કબ્જે કરી, ટ્રસ્ટીઓ પણ સંડોવાય તેવી શક્યતા
Thank you for reading this post, don't forget to subscribe!MAHESANA NEWS: વિસનગરના બાસણા મર્ચન્ટ કેમ્પસમાં આવેલી હોમિયોપેથીક કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીના અપમૃત્યુ કેસમાં સમગ્ર વિસનગર પંથકમાં ચકચાર મચી જવા પામયો છે. જેમાં પોલીસને ત્રણ સ્યૂસાઇડ નોટ મળી છે. ત્રણેય નોટમાં માં કોલેજના આચાર્યથી માંડીને પ્રોફેસર માનસિક ટોર્ચર કરતા હોવાનો ઉલ્લેખ છે પરંતુ કોઈ પણ વ્યક્તિના નામ જોગ કે તેના ત્રાસથી આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ ન હોવાનું પોલીસનું કહેવું છે. આ કેસમાં ટ્રસ્ટીઓની પણ પૂછપરછ થાય તેવી શંકાઓ સેવાઈ રહી છે.
દસાડા તાલુકાના નગવાડા ગામના વતની પ્રવીણભાઈ શ્રીમાળીની 19 વર્ષની દીકરી ઉર્વશીએ પ્રોફેસરો અને પ્રિન્સિપાલના ત્રાસે હોસ્ટેલના પંખાથી દુપટ્ટો બાંધી ફાંસો ખાધો હતો. 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી પંચનામા સહિતની કાર્યવાહી કરાઇ હતી. ડીવાયએસપી મિલાપ પટેલની ટીમને 3 અલગ-અલગ કાગળમાં લખેલી સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં અભ્યાસ સમયે તેણીને મેન્ટલી ટોર્ચર કરવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. જો કે, અન્ય લખાણ પોલીસ તરફથી જાહેર કરાયું નથી. બીજી તરફ પોલીસ ઉર્વશીની સાથે રૂમમાં રહેતી અને સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીઓ સહિતનાના નિવેદન નોંધવામાં આવ્યા છે.
સુસાઇડ નોટ અંગે પોલીસે શું કહ્યું…
ઉર્વશી શ્રીમાળી આત્મહત્યાના આ કેસની તપાસ કરી રહેલા મહેસાણા Dy.sp મિલાપ પટેલના જણાવ્યા અનુસાર શુક્રવારે ઉર્વશીના હોસ્ટેલના રૂમમાં પોલીસે તપાસ કરતાં ત્રણ સ્યૂસાઇડ નોટ મળી છે. જેમાં કોલેજના પ્રોફેસર, પ્રિન્સિપાલ અને મંડળ દ્વારા તેણીને મેન્ટલી ટોર્ચર કરાતી હોવાના આક્ષેપ કરાયા છે પરંતુ કોઈના નામ જોગ નથી. આગામી સમયમાં ટ્રસ્ટીઓની પણ પૂછપરછ કરાશે.
આરોપી તરફે કોઈ કેસ ના લડે તેવી બાર એસો.ની અપીલ
મહેસાણા બાર એસોસિયેશનના પ્રમુખ આર. એન.બારોટે શુક્રવારે લેખિત વિનંતી પત્ર જાહેર કરીને એડવોકેટ મિત્રની દીકરી એટલે આપણી જ દીકરી કહેવાય જેથી તમામ એડવોકેટ મિત્રોએ આરોપી તરફે વકીલ તરીકે ન રોકાવવા સારું નમ્રતાપૂર્વકની વિનંતી સાથેની અપીલ કરી હતી.