CRIME: વડાપ્રધાનના વતન વડનગરમાં મહિલાઓના અસુરક્ષા મુદ્દે ચિંતાજનક બનાવ, મ્યુઝિયમમાં મહિલા કર્મચારીઓની છેડતીનો આક્ષેપ. વડનગર આર્કિયોલોજીકલ એક્સપિરિયલ મ્યુઝિયમમાં કામ કરતી મહિલા કર્મચારીઓની છેડતીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જે ઘટનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માદરે વતન વડનગરને શરમજનક બનાવે છે.
Thank you for reading this post, don't forget to subscribe!
આ મુદ્દે વડનગરના બે મહિલા નગરસેવિકા અને એક પુરુષ નગરસેવકે ગાંધીનગરથી આવેલા અધિકારી પંકજ શર્માને લેખિતમાં રજૂઆત કરી હતી. જોકે, નગરસેવકોના આ પ્રયાસને પંકજ શર્માએ ગંભીરતાથી ન લેતાં, દોષિત કર્મચારીઓનો લૂલો બચાવ કર્યો હોવાનું આરોપ લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંકજ શર્માએ રજૂઆતકારીઓને અવગણ્યા અને તેમની અરજી સ્વીકારવાને પણ ઈનકાર કર્યો.
વિગતવાર જાણકારી અનુસાર, મ્યુઝિયમમાં ઘણા સમયથી મહિલા કર્મચારીઓની છેડતીની ફરિયાદો ઊઠતી હતી. પરંતુ દોષિત કર્મચારીઓની સીધી પહોંચ ઉપરના અધિકારીઓ સુધી હોવાથી કોઈ કડક કાર્યવાહી થઈ ન હતી. અંતે, આ મામલે હોબાળો થતાં કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે, હવે એવો દાવો છે કે દોષિતોમાંથી એકને ફરી નોકરીમાં લેવામાં આવ્યો છે.

સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નગરસેવકોએ ચેતવણી આપી છે કે જો પીડિત મહિલાઓને ન્યાય નહિ મળે તો તેઓ મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી લેખિતમાં રજૂઆત કરશે.
એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. જયારે મ્યુઝિયમમાં કામ કરતી મહિલા કર્મચારીઓ જ સુરક્ષિત નથી, ત્યારે પર્યટકોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય? હવે જોવાનું એ રહેશે કે શું દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે પછી અધિકારી પંકજ શર્માના છટકેલા આશીર્વાદના સહારે તેઓ નિર્ભય બનીને ફરી પ્રવૃત્તિ ચાલુ રાખે છે.
અહેવાલ: ગાયત્રીબા ઝાલા,મહેસાણા