મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફ્લાઈ દુબઈના પ્લેન FZ576 નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી રાત્રે 9:21 વાગ્યે ટેકઓફ થયું હતું. ટેકઓફની થોડી જ મિનિટોમાં પ્લેનમાં આગ લાગી હતી. તરત જ એરપોર્ટને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ક્રૂ મેમ્બરોએ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. માહિતી મળ્યા બાદ એરપોર્ટ પર ફાયર એન્જિનોને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા.
આ પછી ક્રૂ મેમ્બરોએ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, થોડા સમય પછી ક્રૂ-મેમ્બરોએ એરપોર્ટને જણાવ્યું કે પ્લેનની સિસ્ટમ સારી રીતે કામ કરી રહી છે. એટલા માટે તેઓ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ નહીં કરે.
રાત્રે 11 વાગ્યે ફ્લાય દુબઈ એરલાઈન્સના પ્રવક્તાએ પણ આ વાતની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું નથી. ફ્લાઇટ ચાલુ રહેશે, તે સ્થાનિક સમય મુજબ 12:14 વાગ્યે દુબઈ પહોંચશે. ફ્લાઇટમાં 50 નેપાળી મુસાફરો સહિત 169 લોકો સવાર હતા.