ગુજરાતમાં ખનન માફિયાની દાદાગીરી દિવસે દિવસે વધી રહી છે, સામાન્ય માણસ જ નહીં પણ હવે તો પોલીસની ટીમ પણ પણ હુમલો થવાની ઘટના ઘટી રહી છે. હાલમાં જ સુરેન્દ્રનગરમાં પેટ્રૉલિંગ પર ગયેલી પોલીસ ટીમ પર ખનન માફિયાઓએ એકાએક હુમલો કરી દેતા પોલીસકર્મી ઘાયલ થયા છે.
આ પછી પોલીસે તમામની શોધખોળ શરૂ કરી દીધી છે. માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના થાનનાં જામવાડી ગામે પોલીસ ટીમ પર ઉપર હુમલો થયો છે. જ્યારે પોલીસકર્મી પેટ્રૉલિંગ ફરજ ઉપર હતો તે દરમિયાન જ ખનન માફિયાઓએ હુમલો કરી દીધો હતો.
ખનન માફિયાઓ થાનના જામવાડી વિસ્તારમાંથી કાર્બોસેલની ટ્રક છોડાવીને ભાગી છૂટ્યા હતા, જાેકે, બાદમાં પોલીસની ટીમ આ વિસ્તારમાં આ ખનીજ ચોરી પકડવા અને આવી ઘટનાને થતી અટકાવવા માટ પેટ્રૉલિંગમાં ગઇ હતી, તે સમયે જ ૧૧ શખ્સોએ અચાનક પોલીસ પર હુમલો કરી દીધો હતો.
આ શખ્સોએ પહેલા પોલીસકર્મીને માર માર્યો હતો, અને બાદમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પોલીસ કર્મીએ થાન પોલીસ સ્ટેશનમાં ખનન માફિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.