ઓમિક્રોનની દહેશત વચ્ચે જામનગર અને ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઓમિક્રોનનો નોંધાયેલો પ્રથમ દર્દી ૧૭ દિવસે સ્વસ્થ થતા આજે તેને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત દર્દીના બે સંબંધીઓ પણ સ્વસ્થ થઈ જતા તેઓને પણ રજા આપવામા આવી છે. દુનિયાભરમાં હાલ કોરોનાના ઓમિક્રોનના વેરિયન્ટને લઈ ફફડાટ ફેલાયેલો છે. આ વેરિયન્ટની ભારત અને ગુજરાતમાં એન્ટ્રી થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ જામનગર શહેરમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવતા જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયો હતો. વૃદ્ધ બાદ તેના પત્ની અને સાળો પણ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો હતો. આ ત્રણેય દર્દીઓની સારવાર ચાલી રહી હતી. જેના નેગેટિવ રિપોર્ટ આવતા આજે હોસ્પિટલમાં રજા આપવામા આવી હતી.
ઓમિક્રોન વેરિયન્ટના ત્રણેય દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. તબીબો દ્વારા ત્રણેય દર્દીઓને રજા આપ્યા બાદ આઠ દિવસ હોમ આઈસોલેશનમાં રહેવા સલાહ આપી છે. ત્રણેય દર્દી ડીસ્ચાર્જ થતા જામનગરમાં હવે ઓમિક્રોન વેરિયન્ટનો એકપણ એક્ટિવ કેસ બચ્યો નથી. જામનગર ઓમિક્રોન વેરિયન્ટનો જે કેસ નોંધાયો હતો તે ગુજરાતનો પ્રથમ અને દેશનો ત્રીજાે કેસ હતો. ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધના બે પરિવારજનો પણ એમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થતા રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા ત્રણ થઈ હતી. ત્યારબાદ સુરતમાં એક અને વિજાપુરના પિલવાઈમાં એક કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા ૫ થઈ હતી. જાે કે, જામનગરના ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈ જતા હવે રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨ થઈ ચૂકી છે.