રશિયાએ યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત કરી દીધી છે. યુક્રેનની પરિસ્થિતિના કારણે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં છે. આ મુદ્દે આજે રાજકોટ આવેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, 2500થી 3000 વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે, સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહેલના ટ્વીટ પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે, આવી સ્થિતિમાં રાજકારણ કરવું યોગ્ય નથી.
PMO અને વિદેશ મંત્રાલય વિદ્યાર્થીઓના સંપર્કમાં છે
જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે તે મુદ્દે રાજ્ય સરકાર PMO અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે અને વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પરત લાવવામાં આવશે. આ પહેલાં પણ બનેલી ઘટનાઓમાં સરકાર ફસાયેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી હતી. અચાનક આવેલી આ પરિસ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ-લોકોના વાલીઓને ધીરજ રાખવી હિતાવહ છે.
સૌ પ્રથમ યુક્રેનમાં રહેલા લોકોને સલામત રાખવાની અમારી પ્રાથમિકતા છે: મંત્રી જીતુ વાઘાણી
હેલ્પલાઈન નંબર જાહેર,રાજ્ય સરકારે પણ કન્ટ્રોલરૂમ શરૂ કર્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. ચીફ સેક્રેટરી પંકજકુમારે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરીને માહિતી મેળવી છે. સૌ પ્રથમ યુક્રેનમાં રહેલા લોકોને સલામત રાખવાની અમારી પ્રાથમિકતા છે. બાદમાં તેઓને સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્ય સરકારે પણ કન્ટ્રોલરૂમ શરૂ કર્યો. જ્યાં +380997300483 +380997300428 અને 07923351900 હેલ્પલાઈન નંબર પર આપણા લોકો સંપર્ક પણ કરી શકે છે.
વિદ્યાર્થીઓ ફસાતા વાલીઓમાં ચિંતા
નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થતા યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા ગુજરાતનાં વિદ્યાર્થીઓ ફસાયા હોવાની દહેશત વચ્ચે જે-તે વિદ્યાર્થીઓનાં પરિવારોના જીવ તાળવે ચોટી ગયા છે. મહત્વનું છે કે, ભારતીય વિદ્યાર્થીઓમાં મેડિકલ અને એન્જીનિયરિંગનો અભ્યાસ કરવા માટે યુક્રેનની યુનિવર્સિટીઓનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેથી દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન જતા હોય છે. એવામાં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની અસર ગુજરાતી વિદ્યાર્થીઓ પર પણ પડી શકે છે. એવામાં યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાતા વાલીઓ તેમને પરત લાવવા સરકારને માંગ કરાઈ છે.