વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસને લઈ મોટા ખુલાસા થયા છે. આરોપીઓની પૂછપરછમાં વધુ એક કટ્ટરવાદી ગ્રુપ સામે આવ્યું છે. આર્મી ઓફ મહદી ગ્રુપના મેમ્બરની પૂછપરછમાં ‘નસલો કી હીફાઝત કરે ભગવા લવ ટ્રેપ’ નામના ગ્રુપનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કોમી વૈમનસ્ય ફેલાય તેવી આ ગ્રુપમાં ચેટ કરવામાં આવતી હતી. જેથી હવે પોલીસ ગ્રુપના અન્ય રાજ્યોના સંપર્ક અંગે તપાસ કરશે.
આર્મી ઓફ મહદી ગ્રુપના ૧૫૦ મેમ્બર પોલીસ તપાસના ઘેરામાં છે. કોમી વૈમનસ્ય ફેલાવનારા આર્મી ઓફ મહદી ગ્રુપના વધુ ૫૦ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તમામ આરોપીના મોબાઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીના મોબાઈલ હ્લજીન્માં મોકલવામાં આવ્યા છે. ત્રણ આરોપીના સંપર્કમાં આવેલા તમામ લોકોની પૂછપરછ કરાશે. કૌમી વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ વાયરલ કરનાર ૧૫૦ લોકોની પૂછપરછ કરાશે. તેમજ ડીલીટ કરાયેલા ડેટા પણ રિકવર કરાશે.
મહત્વનું છે કે કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં ‘આર્મી ઓફ મહદી’ ગ્રુપનાં વધુ ૪ સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય એક્ટિવ મેમ્બરનાં મોબાઈલ કબજે કરાયા હતા. અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને ગોત્રી પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે ત્રણ આરોપીના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઇ શકે છે.