રૂ. 4 લાખના પાક ધિરાણના સેટલમેન્ટ માટે 95 હજાર માગ્યા
મહેસાણા એસીબીની ટીમે બેન્કમાં જ છટકું ગોઠવી રંગેહાથ પકડ્યા
મહેસાણા તાલુકાના વડસ્મા ગામે આવેલી ઇન્ડિયન બેંકનો મેનેજર રોશનકુમાર રામસુંદરસિંહ અને પટાવાળો જગદીશ કનુભાઈ વાઘેલા મંગળવારે બપોરે ખેડૂત પાસેથી રૂ.95 હજારની માતબર રકમની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. એનપીએ થયેલી બેન્ક લોનને વન ટાઈમ સેટલમેન્ટ યોજનામાં લઈ જવા બેન્ક મેનેજરે લાંચ માગી હતી.
વડસ્મા ગામે આવેલી ઇન્ડિયન બેંકમાંથી ખેડૂત દ્વારા રૂ.4 લાખની પાક ધિરાણ લોન લેવામાં આવી હતી. આ લોનની બ્રાન્ચ મેનેજર દ્વારા સત્તાની રૂએ ઓટીએસ કરાવીને 4 લાખ રૂપિયા ખેડૂત પાસે ભરાવ્યા હતા. પરંતુ સેટલમેન્ટ લોનની એનઓસી આપવાની કાર્યવાહી માટે ખેડૂત પાસે બેંકના બ્રાન્ચ મેનેજર દ્વારા 95 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.જે અંગે ખેડૂતે એસીબીનો સંપર્ક કરતાં મહેસાણા એસીબીના પીઆઈ એ.વાય. પટેલ અને ટીમે મંગળવારે બપોરે વડસ્મા ગામે બેંકમાં જ છટકું ગોઠવી મેનેજર રોશનકુમાર રામસુંદરસિંહના કહેવાથી રૂ.95 હજારની લાંચ લેતાં કરાર આધારિત પટાવાળા જગદીશ કનુભાઈ વાઘેલાને મહેસાણા એસીબીની ટીમે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. એસીબીએ મેનેજર અને પટાવાળાને ડિટેઇન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.