- અગાઉ નક્કી થયેલ નામના વ્યક્તિની ભરતી કરેલ હોઈ જે અંગે 18 વખત રજુઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી : ધારાસભ્ય
- સમગ્ર ગેરરીતિ મામલે CID ક્રાઇમ ને તપાસ સોપાવા ધારાસભ્ય દ્વારા કરાઈ રજૂઆત
શિક્ષણ નગરી પાટણ શહેરમાં કાર્યરત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારના મામલે કલંકિત બની રહી છે. ત્યારે વર્ષ 2020ની સાલમાં યુનિવર્સિટી દ્વારા 42 કારકુનોની કરાયેલી ભરતીમાં પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોય તેવા આક્ષેપ સાથે પાટણના ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી આ મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા માંગ સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉપવાસ ઉપર ઉતરવાની પાટણ ધારાસભ્ય દ્વારા ચીમકી આપવામાં આવી છે. પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દિનપ્રતિદિન ભ્રષ્ટાચારની નીતિરીતિ એ માઝા મૂકી છે.ત્યારે યુનિવર્સિટી દ્વારા વર્ષ 2020માં કરાયેલી 42 જેટલા કારકુનોની ભરતી પ્રક્રિયામાં પણ મોટાપાયે ગેરરીતિ સાથે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય જે બાબતે અગાઉ 18 વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ મામલે કોઇપણ જાતની તપાસ કે ભ્રષ્ટાચારીઓ સામે પગલાં ભરવામાં આવેલ નથી.
રાજ્યના મુખ્યમંત્રી તરીકે જુનિયર ક્લાર્ક ભરતી મામલે યુનિવર્સિટીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવા અને આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી કસૂરવારો સામે પગલાં ભરવામાં નહીં આવે તો તેઓ દ્વારા ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ પત્રમાં ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.